Home

B.A.Sem-2 કૃષ્ણલાલ શ્રીધરાણી

કૃષ્ણલાલ શ્રીધરાણી

નામઃ કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
જન્મઃ ૧૬-૦૯-૧૯૧૧
અવસાનઃ ૨૩-૦૭-૧૯૬૦
જન્મસ્થળઃ ઊમરાળા (જિ.ભાવનગર)
અભ્યાસઃ શાંતિનિકેતન સ્નાતક, એમ.એ. (ન્યુયોર્ક યુનિ.) એમ.એ.,પીએચ.ડી. (કોલંબિયા યુનિ.)
કાવ્યગ્રંથઃ કોડિયા, પુનરપિ.

સવિશેષ પરિચય[ફેરફાર કરો]

શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ (૧૬-૯-૧૯૧૧, ૨૩-૭-૧૯૬૦) : કવિ, નાટ્યકાર. જન્મ ઉમરાળા (ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ – વિનયમંદિરમાં. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક. બીજે વર્ષે કવિવર ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્કીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી ‘અમૃતબઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ. ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો. હૃદય બંધ પડવાથી દિલ્હીમાં અવસાન.

‘કોડિયાં’ (૧૯૩૯)માં સંગૃહીત એમની કવિતા લોકપ્રિય બની છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિના સંવેદનની વૈયક્તિકતા જણાઈ આવે છે. યુગની મહોર વાગી હોય એવાં અનેક કાવ્યોમાં વિચાર કે અર્થના પ્રાધાન્યને બદલે રસ અને સૌન્દર્યની ચમક દેખાય છે. અગેય પદ્યરચનાનો બહુ આદર નથી. શ્લોકબંધ, પ્રાસ જાળવવાનું વલણ તેમ જ ગેયતા તરફનો પક્ષપાત રહ્યો છે; તેથી રૂપમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્યોમાં તેમ જ સૉનેટ કરતાં ગીતોમાં સિદ્ધિ વિશેષ છે. સંવેદનમાં ઈન્દ્રિયસંતર્પકતા છે; ભાષામાં ઓજસ અને વ્યંજના છે; તેમ જ નાટ્યાત્મકતા વિશેષ ગુણલક્ષણ બની રહે છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથનો પ્રભાવ વિશેષ કાર્યાન્વિત થઈ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની જિકર વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રપ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત્ કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું.

રાજકારણ અને સમાજકારણ સાથેના ઘનિષ્ટ સંપર્કને કારણે નિર્ભ્રાન્ત બનેલા આ કવિ ૧૯૪૮ પછી પુનઃ કાવ્યલેખન આરંભે છે. ‘કોડિયાં’ (૧૯૫૭)- નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘પુનરપિ’ (૧૯૬૧)માં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઊપસતું ઉત્તર શ્રીધરાણીનું કવિવ્યક્તિત્વ વિશિષ્ટ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દ્રષ્ટિએ ‘આઠમું દિલ્હી’ અત્યંત નોંધપાત્ર કાવ્ય ગણાય. કટાક્ષ અને હાસ્ય એમની નવતર રચનાઓનાં સંઘટક તત્વો છે. તાજગીભર્યાં કલ્પનો અને પ્રતીકો ઉપરાંત ભાષાની સખ્તાઈ પણ ધ્યાન ખેંચે છે. સવૈયા અને ચોપાઈ જેવા છંદોને પરંપરિત કરવામાં તેમ જ એમાં ગદ્યના અધ્યાસો જગવી પ્રયોગ લેખે પદ્યમુક્તિની દિશા ચીંધવામાં એમની વિશેષતા છે. આ સંદર્ભમાં, ૧૯૫૬માં રચાયેલાં બે કાવ્યો ઉમાશંકરકૃત ‘છિન્ન-ભિન્ન છું’ અને આ કવિનું ‘આઠમું દિલ્હી’ ગુજરાતી કવિતાક્ષેત્રે નવપ્રસ્થાન બનેલાં છે.

એમણે નાનાં-મોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. ‘વડલો’ (૧૯૩૧) અને ‘પીળાં પલાશ’ (૧૯૩૩)માં સંગૃહીત બાળનાટકોમાં જે રંગદર્શિતા, કલ્પકતા, ઊર્મિકવિત્વ અને ધ્વનિસુગંધ છે તે બીજા કોઈ સમકાલીન લેખકનાં બાળનાટકોમાં નથી. ‘વડલો’ નાટક તો હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષાનો વેશ પહેરી ગુજરાત બહાર પણ પ્રસર્યું છે. ‘પિયો ગોરી’ (બી. આ. ૧૯૪૬)માંનાં નાટકોનો બંધ દ્રશ્યબાહુલ્ય, સંવાદોમાં આવતાં ગીતો તેમ જ ઘટનાપ્રવાહની મંદગતિને કારણે શિથિલ લાગે છે; પરંતુ ‘ડૂસકું’ અને ‘પિયો ગોરી’માં થયેલો નાટ્યતત્વને કાવ્યતત્વનો સુમેળ એ કૃતિઓને વિશેષ રમણીય બનાવે છે. ‘ડુંગળીનો દડો’, ‘વીજળી’ અને ‘વૃષલ’ રંગભૂમિની જરૂરીયાતોને ઉપેક્ષે છે.

એમણે લખેલા ત્રિઅંકી નાટકો પૈકીનું ‘મોરના ઈંડા’ (૧૯૩૪) વાસ્તવાલેખન, વસ્તુને મળતો કવચિત્ રહસ્યનો ઓપ, પ્રતીકમયતા, નાટકમાં થિસીસને મળતું પ્રાધાન્ય જેવી બાબતોને લીધે ઈબ્સનશૈલીનો; તો એમાંની ભાવનામયતા, રંગદર્શિતા અને કાવ્યતત્વ ન્હાનાલાલ કે ટાગોરની શૈલીનો પ્રભાવ સૂચવે છે. પરંતુ સમગ્ર રીતે એ નાટકમાં લેખકની પોતીકી છાપ અંકિત થયેલી જોવાય છે. બીજું ‘પદ્મિની’ (૧૯૩૪) ઐતિહાસિક નાટક છે.

પોતાના દેશને અને હજારો દેશબંધુઓને બચાવી લેવા પોતાના શિયળનું બલિદાન આપતી ‘મોના વાના’ (મોરિસ મેટરલિન્કકૃત)ના અભિગમની પ્રતિક્રિયારૂપે સર્જાયેલું ‘પદ્મિની’, એને સમસ્યાનાટક બનાવવાની લેખકની ધૂનને કારણે, ઇતિહાસના વાસ્તવને જોખમાવતું, પાત્રાલેખનમાં વિસંગતિ જન્માવતું અસ્વાભાવિક નાટક બન્યું છે.

દાંડિકૂચના એક સૈનિક તરીકે નાસિકમાં કારાવાસની સજા થઈ એ વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્યકથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા ‘ઇન્સાન મિટા દૂંગા’ લખેલી; એમાં એમનું વાર્તાકાર તરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે; પરંતુ ઉશ્કેરાટભર્યા પ્રસંગો નિરૂપવા જતાં કલાસંયમ ચૂકી જવાયો છે. આ ‘ઇન્સાન મિટા દૂંગા’ (૧૯૩૨) સંગ્રહમાં બીજી આઠ વાર્તાઓ છે, જે વાર્તા તરીકે સામાન્ય કક્ષાની છે.

આ ઉપરાંત ‘આપણી પરદેશ નીતિ’ (૧૯૪૮) એમના નામે છે. ‘વૉર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯), ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧), ‘ધ બિગ ફોર ઑવ ઇન્ડિયા’ (૧૯૪૧), ‘વોર્નિંગ ટુ ધ વેસ્ટ’ (૧૯૪૩), ‘ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ’ (૧૯૪૬), ‘જનરલ નૉલેજ ઍન્સાઇક્લોપીડિયા’ (૧૯૪૯), ‘સ્ટોરી ઑવ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ’ (૧૯૫૩), ‘ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા’ (૧૯૫૬), ‘ધી ઍડવેન્ચર્સ ઑવ અપસાઈડ ડાઉન ટ્રી’ (૧૯૫૬) અને ‘સ્પાય્ કસ ફ્રોમ કશ્મીર’ (૧૯૫૯) એમના અંગ્રેજી ગ્રંથો છે. (- તૃષિત પારેખ)

કોડિયાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનો કાવ્યસંગ્રહ. એમની સિસૃક્ષાને દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ પોષણ આપ્યું છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવતા છતાં વાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભક્તિ, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયોનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી’ જેવાં કાવ્યોમાં ટાગોરનાં શિશુકાવ્યોની મોહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યોમાં ભાવનાત્મક અભિગમ છે. ‘સ્વરાજ રક્ષક’માં ખેડૂતનો પ્રસ્વેદ જ શેલડીના મિષ્ટરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. ‘આજ મારો અપરાધ છે, રાજા !’માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુક્તક પ્રકારની લઘુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૉનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાયેશ કરી છે. એમાં સૉનેટમાં સિદ્ધિ અલ્પ છે; પ્રસંગકાવ્યોમાં લાગણીના બળની સાથે નાટ્યાત્મકતા ભળે છે ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યોમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી’, ‘બુદ્ધનું પુનરાગમન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને વક્રતાપ્રેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુક્તિ અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે. (-તૃષિત પારેખ)

વડલો (૧૯૩૧) : કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક. એમાં કાવ્યતત્વ, નાટ્યતત્ત્વ સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે; તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. ‘વડલો’ની સૃષ્ટિમાં વૃક્ષો છે, પુષ્પો છે, સમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્રો તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત એ પ્રકૃતિની એક શક્તિ છે, તો વડલો તેની બીજી શક્તિ છે. આ બંને શક્તિઓ એકબીજા સાથે ટકરાય છે. વડલો પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એનો પરાભવ ભવ્ય લાગે છે. આ નાટક અનેકવાર ભજવાયું છે. એના પૂર્વાર્ધમાં કાર્યવેગ થોડો છે, તેમ જ એના કથાઘટકો પરસ્પર નિઃશેષપણે સંયોજાયા જણાતા નથી. આમ છતાં, ટાગોરના ‘ડાકઘર’ની જેમ આ નાટક અને એની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે. (-તૃષિત પારેખ)

મોરના ઈંડાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનું સંસ્કૃત-પ્રાકૃત તત્વોના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક. અહીં નિસર્ગના સંતાન સમા તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો અને છાત્રાલયની શિસ્ત એની ચેતનાને રુંધે છે. ગામમાં મિયાણાની ઘાડ પડી ત્યારે કોઈને પૂછ્યા વગર તત્ક્ષણ છાત્રાલયમાંથી છટકી તેણે મિયાણાનો સમાનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત અને અભ્યાસની સામે લેખકે તીરથના જીવનનાં પ્રેમ, શૌર્ય અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે. અહીં લેખક રુસોના કેળવણીવિષયક પ્રકૃતિવાદથી પ્રભાવિત જણાય છે. નાટકનું ગદ્ય કાવ્યમય છે. તીરથમાં ક્યાંક પ્રવેશતું સુધરેલાપણું, ખેંચાતો ચર્ચા-અંશ અને ઉદભવતું ક્રિયામાંદ્ય લેખકની સિદ્ધિને ખાસ ઢાંકી શકતાં નથી. (-તૃષિત પારેખ)

પદ્મિની (૧૯૩૪) : પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના ફૂટપ્રશ્નના ઉકેલ અર્થે પ્રયોજતું કૃષ્ણલાલ શ્રીધરાણીનું નાટક. ક્ષત્રિય નરનારીઓનાં ટેક, પરાક્રમ, સતીત્વ અને કુલાભિમાન જાણીતાં છે, તેથી એ પાત્રો, નાટકકાર બતાવે છે તેમ, પસંદગીના સંઘર્ષમાં સંડોવાય જ નહિ. મેટરલિન્કની વાનાની જેમ પદ્મિનીને એક સ્ત્રી તરીકે નિર્ણય કરવાનો હોઈ શકે. પદ્મિનીના અંતરમાં આવો કોઈ સંઘર્ષ બતાવ્યો હોત તો કદાચ નિર્વાહ્ય ગણાત. આ નાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ નિરપવાદ નથી.

B.A. Sem-2 ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'

ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'


'જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫) ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.ત્યારબાદ તો ૧૯૨૦ માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ(બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૩૫ માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય.

એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. ‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫), ‘અવશેષ’ (૧૯૩૨), ‘પ્રદીપ’ (૧૯૩૩), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (૧૯૩૭), ‘ત્રિભેટો’ (૧૯૩૮), ‘આકાશદીપ’ (૧૯૪૭), ‘પરિશેષ’ (૧૯૪૯), ‘અનામિકા’ (૧૯૪૯), ‘વનછાયા’ (૧૯૪૯), ‘પ્રતિબિંબ’ (૧૯૫૧), ‘વનરેખા’ (૧૯૫૨), ‘જલદીપ’ (૧૯૫૩), ‘વનકુંજ’ (૧૯૫૪), ‘વનરેણુ’ (૧૯૫૬), ‘મંગલદીપ’ (૧૯૫૭), ‘ચન્દ્રરેખા’ (૧૯૫૯), ‘નિકુંજ’ (૧૯૬૦), ‘સાન્ધ્યરંગ’ (૧૯૬૧), ‘સાન્ધ્યતેજ’ (૧૯૬૨), ‘વસંતકુંજ’ (૧૯૬૪) અને ‘છેલ્લો ઝબકારો’ (૧૯૬૪) એ ચોવીસ સંગ્રહોની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે. વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણો, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્રન્દ્ર વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં છે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વર્તાઓ પણ અહીં છે.

ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે લાગણી-નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમ જ ધૂની-તરંગી પાત્રો એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે. એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી છે. લોકબોલીનો લહેજો, કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે. કટાક્ષ તથા હાસ્યનો પણ એમાં ઉપયોગ થયો છે. એમની નવલિકાઓમાં અતિપ્રસ્તારને કારણે ક્યારેક સંવિધાન કથળે છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊર્મિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય આદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે.

એમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ’ (૧૯૨૩), ‘રાજમુગુટ’ (૧૯૨૪), ‘રુદ્રશરણ’ (૧૯૩૭), ‘અજિતા’ (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર’ (૧૯૬૩), ‘મંઝિલ નહીં કિનારા’ (૧૯૬૪) વગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે. દેશી રજવાડાંની ખટપટોને આલેખતી તે નવલકથાઓમાં નૂતન પરિસ્થિતિમાં પ્રગટતી લોકજાગૃતિ નિરૂપાઈ છે, તો સાથોસાથ લોકતંત્ર, ગ્રામસ્વરાજ આદિ ભાવનાના નિરૂપણ સાથે રાજખટપટનો યથાર્થ ચિતાર પણ છે. એમની નવલકથાઓમાં પાત્રવસ્તુમાં આદર્શમયતાનું નિરૂપણ છે, ગામડાં પ્રત્યેનો પક્ષપાત છે; છતાં કથાવેગ, ચરિત્રચિત્રણ, રહસ્યમતા અને શૈલીને કારણે વાચનક્ષમતા છે. ‘ચૌલાદેવી’ (૧૯૪૦), ‘રાજસંન્યાસી’ (૧૯૪૨), ‘કર્ણાવતી’ (૧૯૪૨), ‘રાજકન્યા’ (૧૯૪૩), ‘વાચિનીદેવી’ (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જયસિંહ સિદ્ધરાજ’ (અવંતીનાથ) (૧૯૪૮), ‘ગુર્જરેશ્વર કુમારપાળ’ (૧૯૪૮), ‘રાજર્ષિ કુમારપાળ’ (૧૯૫૦), ‘નાયિકાદેવી’ (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો’ (૧૯૫૨), ‘અજિત ભીમદેવ’ (૧૯૫૩), ‘આમ્રપાલી’ (૧૯૫૪), ‘વૈશાલી’ (૧૯૫૪), ‘મગધપતિ’ (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણક્ય’ (૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મોર્ય’ (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક’ (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’ (૧૯૫૮), ‘મગધસેનાપતિ પુષ્પમિત્ર’ (૧૯૫૯), ‘કુમારદેવી’ (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’ : ૧-૨ (૧૯૬૧), ‘પરાધીન ગુજરાત’ (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત’ : ૧,૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘ધ્રુવદેવી’ (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયુગનું નિરૂપણ છે. ગુપ્તયુગની નવલકથાઓ દ્વારા ભારતની અને ચૌલુકયયુગની નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાનો એમનો ઉદ્દેશ જણાય છે. એમાં રસજિજ્ઞાસા સંતોષતી કથા-ઘટનાનું સંયોજન છે, છતાં સંવિધાન-શિથિલતા, પ્રસંગો-પાત્રોની એકવિધવા, રહસ્ય-ભેદભરમ-સાહસ-અદભૂત રસાદિનું સાયાસ નિરૂપણ તેમ જ વર્ણન-પ્રસ્તારને કારણે એમની ઐતિહાસિક નવલકથા સીમિત રહે છે.

‘જીવનવિચારણા’ (૧૯૭૦)માં એમના સમાજવિષયક નિબંધો છે, તો ‘સાહિત્યવિચારણા’ (૧૯૬૯) માં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા છે. પ્રથમ કૃતિમાં સમાજહિતચિંતક ધૂમકેતુ દેખા દે છે અને તેમાં સુબદ્ધ વિચારોનું ઊંડાણ છે, તો બીજી કૃતિમાં ટૂંકીવાર્તા અંગે વિચારણા તથા કેટલાક અંજલિલેખો છે. અહીં નિબંધસ્વરૂપ કંઈક શિથિલ છે. નિબંધો ચિંતનપ્રેરક ઓછા, ઊર્મિપ્રેરક વિશેષ છે. અહીં એમની સૂત્રાત્મક સબળ શૈલી છે. ‘પાનગોષ્ઠિ’ (૧૯૪૨) માં પણ ચિંતન છે, પણ એમાં બહુધા હાસ્યનિબંધિકાઓ છે. જોકે અહીં એમનો હાસ્યકાર તરીકે પ્રગટ થવાનો આયાસ દેખાઈ આવે છે. ‘પગદંડી’ (૧૯૪૦) માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનોને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યનો સ્પર્શ આપ્યો છે. સ્થળોનાં ઐતિહાસિક સંદર્ભો એમની બહુશ્રુતતાનો અહીં પરિચય કરાવે છે.

‘રજકણ’ (૧૯૩૪), ‘જલબિંદુ’ (૧૯૩૬), ‘મેઘબિંદુ’ (૧૯૫૦), ‘પદ્મરેણુ’ (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિંતનકણિકાઓનું દર્શન થાય છે. એમાં સુરમ્ય વિચારકંડિકાઓ, લઘુલેખો અને નિબંધો છે. સૂત્રાત્મક શૈલીની સાથોસાથ ગદ્યના કુશળ કસબી ધૂમકેતુનો સન્નિષ્ઠ નિબંધલેખક તરીકેનો એમાં પરિચય મળે છે. એમનો જીવનોત્સાહ, એમની સૌંદર્યભક્તિ તથા ભાવનાશીલતા એમાં નીતરે છે. ‘કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય’ (૧૯૪૦) એમનો ચરિત્રગ્રંથ છે, તો ‘જીવનપંથ’ (૧૯૪૯) અને ‘જીવનરંગ’ (૧૯૫૬) એમની આત્મકથા છે. પ્રથમ કૃતિમાં હેમચન્દ્રાચાર્યના વ્યક્તિત્વનું મૂલ્યાંકન છે પણ વિગતોમાં તટસ્થતાનો અભાવ અને ઇતિહાસનો બોજ વરતાય છે. ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ’ માં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે. પ્રકૃતિનાં કલ્પનાશીલ ચિત્રાત્મક વર્ણનો, વિવિધ પાત્રસૃષ્ટિ, વીતેલા જમાનાની ઘટનાઓ આદિ સુંદર રીતે આલેખાયાં છે; ઉપરાંત એમાં લેખકનું વિદ્યાર્થી, મિત્ર, શિક્ષક અને સાહિત્યકારનું સ્વરૂપ પ્રગટે છે. સત્યકથન અને સુવાચ્ય શૈલી એ એની લાક્ષણિકતા છે.

‘એકલવ્ય અને બીજાં નાટકો’ (૧૯૩૩) તેમ જ ‘ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો’ (૧૯૪૨) એમના નાટ્યસંગ્રહો છે.

જિબ્રાનની કૃતિઓ અને ટાગોરની ‘ગીતાંજલિ’ ના એમણે કરેલા ભાવાનુવાદમાં તે તે સર્જક સાથે હૃદયસંવાદ સાધી એમણે કાવ્યમય ભાષાશૈલી અને ચિંતનમાધુર્યના સ્વ-સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત, સ્વરાજપ્રાપ્તિ પછી સામાન્યજનના સંસ્કારશિક્ષણને પોષતી બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની સરળ ને બોધક સાઠેક પુસ્તિકાઓ એમણે લખી છે. ‘ઇતિહાસદર્શન’, ‘ઇતિહાસની તેજમૂર્તિઓ’ (૧૯૫૫) અને ‘ઇલિયડ’ (૧૯૬૧) એમનાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો છે. (- રવીન્દ્ર ઠાકોર)

તણખા : મંડળ ૧,૨,૩,૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) : ધૂમકેતુના ટૂંકીવાર્તાઓના સંગ્રહો. કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું છે તેનો માત્ર ધ્વનિ જ-તણખો-જ-મૂકે છે એવું, નિજી કલાશ્રદ્ધામાંથી જન્મેલું ધૂમકેતુનું વાર્તાવિશ્વ ઊર્મિપ્રધાન, ભાવનાપ્રધાન, રંગદર્શી અને વૈવિધ્યસભર છે. ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ આ વાર્તાઓની પ્રસિદ્ધિ છે. વિપુલ સર્જનનો સંદર્ભ હોય કે વાર્તાકૌશલનો સંદર્ભ હોય, પાત્રમાનસના નિરૂપણનો સંદર્ભ હોય કે સર્જકતાની કોટિનો સંદર્ભ હોય-આ સર્વ સંદર્ભોમાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. આ વાર્તાઓ ‘વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી’ જવાનો અને ‘બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી’ કાઢવાનો મનસૂબો ધરાવે છે. ક્યારેક ઊર્મિના અતિરેકથી આવતો ઘેરો રંગ, ક્યારેક આદર્શઘેલછા, ક્યારેક ગ્રામજીવન તરફનો અકારણ પક્ષપાત, ક્યારેક અવાસ્તવિક રીતે આવતા ઓચિંતા પલટાઓ એ આ વાર્તાઓની મર્યાદાઓ હોવા છતાં ‘પોસ્ટઓફિસ’, ‘ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘રજપૂતાણી’, ‘જીવનનું પ્રભાત’ જેવી વાર્તાઓમાં ધૂમકેતુનો સર્જન-વિશેષ જોઈ શકાય છે. આ વાર્તાઓમાં કલાનિર્મિત સાથે જીવનમૂલ્યોનું જીવંત રસાયણ થયેલું છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એ વાતની સાક્ષી આ ચાર મંડળો અવશ્ય પૂરે છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

પોસ્ટઑફિસ : પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

ભૈયાદાદા : ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

રજપૂતાણી : ધૂમકેતુની ટૂંકીવાર્તા. એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

ચૌલાદેવી (૧૯૪૦) : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ની ચૌલુક્યવંશીની નવલકથા. એમાં રાજા ભીમદેવના સમયની કથા છે. સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રહિક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.