Home

B.A.Sem-2 કૃષ્ણલાલ શ્રીધરાણી

કૃષ્ણલાલ શ્રીધરાણી

નામઃ કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
જન્મઃ ૧૬-૦૯-૧૯૧૧
અવસાનઃ ૨૩-૦૭-૧૯૬૦
જન્મસ્થળઃ ઊમરાળા (જિ.ભાવનગર)
અભ્યાસઃ શાંતિનિકેતન સ્નાતક, એમ.એ. (ન્યુયોર્ક યુનિ.) એમ.એ.,પીએચ.ડી. (કોલંબિયા યુનિ.)
કાવ્યગ્રંથઃ કોડિયા, પુનરપિ.

સવિશેષ પરિચય[ફેરફાર કરો]

શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ (૧૬-૯-૧૯૧૧, ૨૩-૭-૧૯૬૦) : કવિ, નાટ્યકાર. જન્મ ઉમરાળા (ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ – વિનયમંદિરમાં. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક. બીજે વર્ષે કવિવર ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્કીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી ‘અમૃતબઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ. ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો. હૃદય બંધ પડવાથી દિલ્હીમાં અવસાન.

‘કોડિયાં’ (૧૯૩૯)માં સંગૃહીત એમની કવિતા લોકપ્રિય બની છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિના સંવેદનની વૈયક્તિકતા જણાઈ આવે છે. યુગની મહોર વાગી હોય એવાં અનેક કાવ્યોમાં વિચાર કે અર્થના પ્રાધાન્યને બદલે રસ અને સૌન્દર્યની ચમક દેખાય છે. અગેય પદ્યરચનાનો બહુ આદર નથી. શ્લોકબંધ, પ્રાસ જાળવવાનું વલણ તેમ જ ગેયતા તરફનો પક્ષપાત રહ્યો છે; તેથી રૂપમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્યોમાં તેમ જ સૉનેટ કરતાં ગીતોમાં સિદ્ધિ વિશેષ છે. સંવેદનમાં ઈન્દ્રિયસંતર્પકતા છે; ભાષામાં ઓજસ અને વ્યંજના છે; તેમ જ નાટ્યાત્મકતા વિશેષ ગુણલક્ષણ બની રહે છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથનો પ્રભાવ વિશેષ કાર્યાન્વિત થઈ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની જિકર વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રપ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત્ કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું.

રાજકારણ અને સમાજકારણ સાથેના ઘનિષ્ટ સંપર્કને કારણે નિર્ભ્રાન્ત બનેલા આ કવિ ૧૯૪૮ પછી પુનઃ કાવ્યલેખન આરંભે છે. ‘કોડિયાં’ (૧૯૫૭)- નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘પુનરપિ’ (૧૯૬૧)માં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઊપસતું ઉત્તર શ્રીધરાણીનું કવિવ્યક્તિત્વ વિશિષ્ટ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દ્રષ્ટિએ ‘આઠમું દિલ્હી’ અત્યંત નોંધપાત્ર કાવ્ય ગણાય. કટાક્ષ અને હાસ્ય એમની નવતર રચનાઓનાં સંઘટક તત્વો છે. તાજગીભર્યાં કલ્પનો અને પ્રતીકો ઉપરાંત ભાષાની સખ્તાઈ પણ ધ્યાન ખેંચે છે. સવૈયા અને ચોપાઈ જેવા છંદોને પરંપરિત કરવામાં તેમ જ એમાં ગદ્યના અધ્યાસો જગવી પ્રયોગ લેખે પદ્યમુક્તિની દિશા ચીંધવામાં એમની વિશેષતા છે. આ સંદર્ભમાં, ૧૯૫૬માં રચાયેલાં બે કાવ્યો ઉમાશંકરકૃત ‘છિન્ન-ભિન્ન છું’ અને આ કવિનું ‘આઠમું દિલ્હી’ ગુજરાતી કવિતાક્ષેત્રે નવપ્રસ્થાન બનેલાં છે.

એમણે નાનાં-મોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. ‘વડલો’ (૧૯૩૧) અને ‘પીળાં પલાશ’ (૧૯૩૩)માં સંગૃહીત બાળનાટકોમાં જે રંગદર્શિતા, કલ્પકતા, ઊર્મિકવિત્વ અને ધ્વનિસુગંધ છે તે બીજા કોઈ સમકાલીન લેખકનાં બાળનાટકોમાં નથી. ‘વડલો’ નાટક તો હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષાનો વેશ પહેરી ગુજરાત બહાર પણ પ્રસર્યું છે. ‘પિયો ગોરી’ (બી. આ. ૧૯૪૬)માંનાં નાટકોનો બંધ દ્રશ્યબાહુલ્ય, સંવાદોમાં આવતાં ગીતો તેમ જ ઘટનાપ્રવાહની મંદગતિને કારણે શિથિલ લાગે છે; પરંતુ ‘ડૂસકું’ અને ‘પિયો ગોરી’માં થયેલો નાટ્યતત્વને કાવ્યતત્વનો સુમેળ એ કૃતિઓને વિશેષ રમણીય બનાવે છે. ‘ડુંગળીનો દડો’, ‘વીજળી’ અને ‘વૃષલ’ રંગભૂમિની જરૂરીયાતોને ઉપેક્ષે છે.

એમણે લખેલા ત્રિઅંકી નાટકો પૈકીનું ‘મોરના ઈંડા’ (૧૯૩૪) વાસ્તવાલેખન, વસ્તુને મળતો કવચિત્ રહસ્યનો ઓપ, પ્રતીકમયતા, નાટકમાં થિસીસને મળતું પ્રાધાન્ય જેવી બાબતોને લીધે ઈબ્સનશૈલીનો; તો એમાંની ભાવનામયતા, રંગદર્શિતા અને કાવ્યતત્વ ન્હાનાલાલ કે ટાગોરની શૈલીનો પ્રભાવ સૂચવે છે. પરંતુ સમગ્ર રીતે એ નાટકમાં લેખકની પોતીકી છાપ અંકિત થયેલી જોવાય છે. બીજું ‘પદ્મિની’ (૧૯૩૪) ઐતિહાસિક નાટક છે.

પોતાના દેશને અને હજારો દેશબંધુઓને બચાવી લેવા પોતાના શિયળનું બલિદાન આપતી ‘મોના વાના’ (મોરિસ મેટરલિન્કકૃત)ના અભિગમની પ્રતિક્રિયારૂપે સર્જાયેલું ‘પદ્મિની’, એને સમસ્યાનાટક બનાવવાની લેખકની ધૂનને કારણે, ઇતિહાસના વાસ્તવને જોખમાવતું, પાત્રાલેખનમાં વિસંગતિ જન્માવતું અસ્વાભાવિક નાટક બન્યું છે.

દાંડિકૂચના એક સૈનિક તરીકે નાસિકમાં કારાવાસની સજા થઈ એ વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્યકથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા ‘ઇન્સાન મિટા દૂંગા’ લખેલી; એમાં એમનું વાર્તાકાર તરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે; પરંતુ ઉશ્કેરાટભર્યા પ્રસંગો નિરૂપવા જતાં કલાસંયમ ચૂકી જવાયો છે. આ ‘ઇન્સાન મિટા દૂંગા’ (૧૯૩૨) સંગ્રહમાં બીજી આઠ વાર્તાઓ છે, જે વાર્તા તરીકે સામાન્ય કક્ષાની છે.

આ ઉપરાંત ‘આપણી પરદેશ નીતિ’ (૧૯૪૮) એમના નામે છે. ‘વૉર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯), ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧), ‘ધ બિગ ફોર ઑવ ઇન્ડિયા’ (૧૯૪૧), ‘વોર્નિંગ ટુ ધ વેસ્ટ’ (૧૯૪૩), ‘ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ’ (૧૯૪૬), ‘જનરલ નૉલેજ ઍન્સાઇક્લોપીડિયા’ (૧૯૪૯), ‘સ્ટોરી ઑવ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ’ (૧૯૫૩), ‘ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા’ (૧૯૫૬), ‘ધી ઍડવેન્ચર્સ ઑવ અપસાઈડ ડાઉન ટ્રી’ (૧૯૫૬) અને ‘સ્પાય્ કસ ફ્રોમ કશ્મીર’ (૧૯૫૯) એમના અંગ્રેજી ગ્રંથો છે. (- તૃષિત પારેખ)

કોડિયાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનો કાવ્યસંગ્રહ. એમની સિસૃક્ષાને દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ પોષણ આપ્યું છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવતા છતાં વાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભક્તિ, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયોનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી’ જેવાં કાવ્યોમાં ટાગોરનાં શિશુકાવ્યોની મોહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યોમાં ભાવનાત્મક અભિગમ છે. ‘સ્વરાજ રક્ષક’માં ખેડૂતનો પ્રસ્વેદ જ શેલડીના મિષ્ટરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. ‘આજ મારો અપરાધ છે, રાજા !’માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુક્તક પ્રકારની લઘુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૉનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાયેશ કરી છે. એમાં સૉનેટમાં સિદ્ધિ અલ્પ છે; પ્રસંગકાવ્યોમાં લાગણીના બળની સાથે નાટ્યાત્મકતા ભળે છે ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યોમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી’, ‘બુદ્ધનું પુનરાગમન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને વક્રતાપ્રેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુક્તિ અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે. (-તૃષિત પારેખ)

વડલો (૧૯૩૧) : કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક. એમાં કાવ્યતત્વ, નાટ્યતત્ત્વ સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે; તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. ‘વડલો’ની સૃષ્ટિમાં વૃક્ષો છે, પુષ્પો છે, સમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્રો તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત એ પ્રકૃતિની એક શક્તિ છે, તો વડલો તેની બીજી શક્તિ છે. આ બંને શક્તિઓ એકબીજા સાથે ટકરાય છે. વડલો પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એનો પરાભવ ભવ્ય લાગે છે. આ નાટક અનેકવાર ભજવાયું છે. એના પૂર્વાર્ધમાં કાર્યવેગ થોડો છે, તેમ જ એના કથાઘટકો પરસ્પર નિઃશેષપણે સંયોજાયા જણાતા નથી. આમ છતાં, ટાગોરના ‘ડાકઘર’ની જેમ આ નાટક અને એની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે. (-તૃષિત પારેખ)

મોરના ઈંડાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનું સંસ્કૃત-પ્રાકૃત તત્વોના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક. અહીં નિસર્ગના સંતાન સમા તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો અને છાત્રાલયની શિસ્ત એની ચેતનાને રુંધે છે. ગામમાં મિયાણાની ઘાડ પડી ત્યારે કોઈને પૂછ્યા વગર તત્ક્ષણ છાત્રાલયમાંથી છટકી તેણે મિયાણાનો સમાનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત અને અભ્યાસની સામે લેખકે તીરથના જીવનનાં પ્રેમ, શૌર્ય અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે. અહીં લેખક રુસોના કેળવણીવિષયક પ્રકૃતિવાદથી પ્રભાવિત જણાય છે. નાટકનું ગદ્ય કાવ્યમય છે. તીરથમાં ક્યાંક પ્રવેશતું સુધરેલાપણું, ખેંચાતો ચર્ચા-અંશ અને ઉદભવતું ક્રિયામાંદ્ય લેખકની સિદ્ધિને ખાસ ઢાંકી શકતાં નથી. (-તૃષિત પારેખ)

પદ્મિની (૧૯૩૪) : પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના ફૂટપ્રશ્નના ઉકેલ અર્થે પ્રયોજતું કૃષ્ણલાલ શ્રીધરાણીનું નાટક. ક્ષત્રિય નરનારીઓનાં ટેક, પરાક્રમ, સતીત્વ અને કુલાભિમાન જાણીતાં છે, તેથી એ પાત્રો, નાટકકાર બતાવે છે તેમ, પસંદગીના સંઘર્ષમાં સંડોવાય જ નહિ. મેટરલિન્કની વાનાની જેમ પદ્મિનીને એક સ્ત્રી તરીકે નિર્ણય કરવાનો હોઈ શકે. પદ્મિનીના અંતરમાં આવો કોઈ સંઘર્ષ બતાવ્યો હોત તો કદાચ નિર્વાહ્ય ગણાત. આ નાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ નિરપવાદ નથી.

B.A. Sem-2 ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'

ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'


'જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫) ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.ત્યારબાદ તો ૧૯૨૦ માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ(બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૩૫ માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય.

એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. ‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫), ‘અવશેષ’ (૧૯૩૨), ‘પ્રદીપ’ (૧૯૩૩), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (૧૯૩૭), ‘ત્રિભેટો’ (૧૯૩૮), ‘આકાશદીપ’ (૧૯૪૭), ‘પરિશેષ’ (૧૯૪૯), ‘અનામિકા’ (૧૯૪૯), ‘વનછાયા’ (૧૯૪૯), ‘પ્રતિબિંબ’ (૧૯૫૧), ‘વનરેખા’ (૧૯૫૨), ‘જલદીપ’ (૧૯૫૩), ‘વનકુંજ’ (૧૯૫૪), ‘વનરેણુ’ (૧૯૫૬), ‘મંગલદીપ’ (૧૯૫૭), ‘ચન્દ્રરેખા’ (૧૯૫૯), ‘નિકુંજ’ (૧૯૬૦), ‘સાન્ધ્યરંગ’ (૧૯૬૧), ‘સાન્ધ્યતેજ’ (૧૯૬૨), ‘વસંતકુંજ’ (૧૯૬૪) અને ‘છેલ્લો ઝબકારો’ (૧૯૬૪) એ ચોવીસ સંગ્રહોની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે. વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણો, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્રન્દ્ર વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં છે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વર્તાઓ પણ અહીં છે.

ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે લાગણી-નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમ જ ધૂની-તરંગી પાત્રો એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે. એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી છે. લોકબોલીનો લહેજો, કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે. કટાક્ષ તથા હાસ્યનો પણ એમાં ઉપયોગ થયો છે. એમની નવલિકાઓમાં અતિપ્રસ્તારને કારણે ક્યારેક સંવિધાન કથળે છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊર્મિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય આદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે.

એમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ’ (૧૯૨૩), ‘રાજમુગુટ’ (૧૯૨૪), ‘રુદ્રશરણ’ (૧૯૩૭), ‘અજિતા’ (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર’ (૧૯૬૩), ‘મંઝિલ નહીં કિનારા’ (૧૯૬૪) વગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે. દેશી રજવાડાંની ખટપટોને આલેખતી તે નવલકથાઓમાં નૂતન પરિસ્થિતિમાં પ્રગટતી લોકજાગૃતિ નિરૂપાઈ છે, તો સાથોસાથ લોકતંત્ર, ગ્રામસ્વરાજ આદિ ભાવનાના નિરૂપણ સાથે રાજખટપટનો યથાર્થ ચિતાર પણ છે. એમની નવલકથાઓમાં પાત્રવસ્તુમાં આદર્શમયતાનું નિરૂપણ છે, ગામડાં પ્રત્યેનો પક્ષપાત છે; છતાં કથાવેગ, ચરિત્રચિત્રણ, રહસ્યમતા અને શૈલીને કારણે વાચનક્ષમતા છે. ‘ચૌલાદેવી’ (૧૯૪૦), ‘રાજસંન્યાસી’ (૧૯૪૨), ‘કર્ણાવતી’ (૧૯૪૨), ‘રાજકન્યા’ (૧૯૪૩), ‘વાચિનીદેવી’ (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જયસિંહ સિદ્ધરાજ’ (અવંતીનાથ) (૧૯૪૮), ‘ગુર્જરેશ્વર કુમારપાળ’ (૧૯૪૮), ‘રાજર્ષિ કુમારપાળ’ (૧૯૫૦), ‘નાયિકાદેવી’ (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો’ (૧૯૫૨), ‘અજિત ભીમદેવ’ (૧૯૫૩), ‘આમ્રપાલી’ (૧૯૫૪), ‘વૈશાલી’ (૧૯૫૪), ‘મગધપતિ’ (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણક્ય’ (૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મોર્ય’ (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક’ (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’ (૧૯૫૮), ‘મગધસેનાપતિ પુષ્પમિત્ર’ (૧૯૫૯), ‘કુમારદેવી’ (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’ : ૧-૨ (૧૯૬૧), ‘પરાધીન ગુજરાત’ (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત’ : ૧,૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘ધ્રુવદેવી’ (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયુગનું નિરૂપણ છે. ગુપ્તયુગની નવલકથાઓ દ્વારા ભારતની અને ચૌલુકયયુગની નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાનો એમનો ઉદ્દેશ જણાય છે. એમાં રસજિજ્ઞાસા સંતોષતી કથા-ઘટનાનું સંયોજન છે, છતાં સંવિધાન-શિથિલતા, પ્રસંગો-પાત્રોની એકવિધવા, રહસ્ય-ભેદભરમ-સાહસ-અદભૂત રસાદિનું સાયાસ નિરૂપણ તેમ જ વર્ણન-પ્રસ્તારને કારણે એમની ઐતિહાસિક નવલકથા સીમિત રહે છે.

‘જીવનવિચારણા’ (૧૯૭૦)માં એમના સમાજવિષયક નિબંધો છે, તો ‘સાહિત્યવિચારણા’ (૧૯૬૯) માં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા છે. પ્રથમ કૃતિમાં સમાજહિતચિંતક ધૂમકેતુ દેખા દે છે અને તેમાં સુબદ્ધ વિચારોનું ઊંડાણ છે, તો બીજી કૃતિમાં ટૂંકીવાર્તા અંગે વિચારણા તથા કેટલાક અંજલિલેખો છે. અહીં નિબંધસ્વરૂપ કંઈક શિથિલ છે. નિબંધો ચિંતનપ્રેરક ઓછા, ઊર્મિપ્રેરક વિશેષ છે. અહીં એમની સૂત્રાત્મક સબળ શૈલી છે. ‘પાનગોષ્ઠિ’ (૧૯૪૨) માં પણ ચિંતન છે, પણ એમાં બહુધા હાસ્યનિબંધિકાઓ છે. જોકે અહીં એમનો હાસ્યકાર તરીકે પ્રગટ થવાનો આયાસ દેખાઈ આવે છે. ‘પગદંડી’ (૧૯૪૦) માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનોને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યનો સ્પર્શ આપ્યો છે. સ્થળોનાં ઐતિહાસિક સંદર્ભો એમની બહુશ્રુતતાનો અહીં પરિચય કરાવે છે.

‘રજકણ’ (૧૯૩૪), ‘જલબિંદુ’ (૧૯૩૬), ‘મેઘબિંદુ’ (૧૯૫૦), ‘પદ્મરેણુ’ (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિંતનકણિકાઓનું દર્શન થાય છે. એમાં સુરમ્ય વિચારકંડિકાઓ, લઘુલેખો અને નિબંધો છે. સૂત્રાત્મક શૈલીની સાથોસાથ ગદ્યના કુશળ કસબી ધૂમકેતુનો સન્નિષ્ઠ નિબંધલેખક તરીકેનો એમાં પરિચય મળે છે. એમનો જીવનોત્સાહ, એમની સૌંદર્યભક્તિ તથા ભાવનાશીલતા એમાં નીતરે છે. ‘કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય’ (૧૯૪૦) એમનો ચરિત્રગ્રંથ છે, તો ‘જીવનપંથ’ (૧૯૪૯) અને ‘જીવનરંગ’ (૧૯૫૬) એમની આત્મકથા છે. પ્રથમ કૃતિમાં હેમચન્દ્રાચાર્યના વ્યક્તિત્વનું મૂલ્યાંકન છે પણ વિગતોમાં તટસ્થતાનો અભાવ અને ઇતિહાસનો બોજ વરતાય છે. ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ’ માં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે. પ્રકૃતિનાં કલ્પનાશીલ ચિત્રાત્મક વર્ણનો, વિવિધ પાત્રસૃષ્ટિ, વીતેલા જમાનાની ઘટનાઓ આદિ સુંદર રીતે આલેખાયાં છે; ઉપરાંત એમાં લેખકનું વિદ્યાર્થી, મિત્ર, શિક્ષક અને સાહિત્યકારનું સ્વરૂપ પ્રગટે છે. સત્યકથન અને સુવાચ્ય શૈલી એ એની લાક્ષણિકતા છે.

‘એકલવ્ય અને બીજાં નાટકો’ (૧૯૩૩) તેમ જ ‘ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો’ (૧૯૪૨) એમના નાટ્યસંગ્રહો છે.

જિબ્રાનની કૃતિઓ અને ટાગોરની ‘ગીતાંજલિ’ ના એમણે કરેલા ભાવાનુવાદમાં તે તે સર્જક સાથે હૃદયસંવાદ સાધી એમણે કાવ્યમય ભાષાશૈલી અને ચિંતનમાધુર્યના સ્વ-સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત, સ્વરાજપ્રાપ્તિ પછી સામાન્યજનના સંસ્કારશિક્ષણને પોષતી બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની સરળ ને બોધક સાઠેક પુસ્તિકાઓ એમણે લખી છે. ‘ઇતિહાસદર્શન’, ‘ઇતિહાસની તેજમૂર્તિઓ’ (૧૯૫૫) અને ‘ઇલિયડ’ (૧૯૬૧) એમનાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો છે. (- રવીન્દ્ર ઠાકોર)

તણખા : મંડળ ૧,૨,૩,૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) : ધૂમકેતુના ટૂંકીવાર્તાઓના સંગ્રહો. કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું છે તેનો માત્ર ધ્વનિ જ-તણખો-જ-મૂકે છે એવું, નિજી કલાશ્રદ્ધામાંથી જન્મેલું ધૂમકેતુનું વાર્તાવિશ્વ ઊર્મિપ્રધાન, ભાવનાપ્રધાન, રંગદર્શી અને વૈવિધ્યસભર છે. ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ આ વાર્તાઓની પ્રસિદ્ધિ છે. વિપુલ સર્જનનો સંદર્ભ હોય કે વાર્તાકૌશલનો સંદર્ભ હોય, પાત્રમાનસના નિરૂપણનો સંદર્ભ હોય કે સર્જકતાની કોટિનો સંદર્ભ હોય-આ સર્વ સંદર્ભોમાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. આ વાર્તાઓ ‘વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી’ જવાનો અને ‘બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી’ કાઢવાનો મનસૂબો ધરાવે છે. ક્યારેક ઊર્મિના અતિરેકથી આવતો ઘેરો રંગ, ક્યારેક આદર્શઘેલછા, ક્યારેક ગ્રામજીવન તરફનો અકારણ પક્ષપાત, ક્યારેક અવાસ્તવિક રીતે આવતા ઓચિંતા પલટાઓ એ આ વાર્તાઓની મર્યાદાઓ હોવા છતાં ‘પોસ્ટઓફિસ’, ‘ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘રજપૂતાણી’, ‘જીવનનું પ્રભાત’ જેવી વાર્તાઓમાં ધૂમકેતુનો સર્જન-વિશેષ જોઈ શકાય છે. આ વાર્તાઓમાં કલાનિર્મિત સાથે જીવનમૂલ્યોનું જીવંત રસાયણ થયેલું છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એ વાતની સાક્ષી આ ચાર મંડળો અવશ્ય પૂરે છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

પોસ્ટઑફિસ : પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

ભૈયાદાદા : ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

રજપૂતાણી : ધૂમકેતુની ટૂંકીવાર્તા. એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

ચૌલાદેવી (૧૯૪૦) : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ની ચૌલુક્યવંશીની નવલકથા. એમાં રાજા ભીમદેવના સમયની કથા છે. સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રહિક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.

ગિરનાર

સ્થળ અને મહત્વ

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે.(સંદર્ભ આપો) સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.
હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે. આ બધા સાથે અહીં મુસ્લિમ ધર્મ સ્થાનકો પણ આવેલાં છે જેથી તે મુસલમાન યાત્રાળુઓને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની અનેકતામાં એકતાનું સચોટ ઉદાહરણ પુરૂ પાડે છે.

ઇતિહાસ

સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જૂનાગઢશહેરને ગિરિનગર નાં નામથી ઓળખાતા હતાં.
આમ સમયનાં વહેણની સાથે જૂનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખૂબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા'ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યુ કે,

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
જેમકે તારો રાજા હણાયો છતા તુ હજી ઉભો છે ? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.
પુરાણોમાં ઇતિહાસ
પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ-તા.ભેસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો. ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણ ના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.

ગિરનારની પરિક્રમા

પરિક્રમાનું મહત્વ

ગિરનારએ અગ્નિક્રૂત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

પરિક્રમાનાં સ્થળ

જૂનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.
બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.
ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.
યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

પરિક્રમામાં સેવાકીય પ્રવ્રૂતિ

ગિરનાર ફરતે દરવર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જૂનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી સારી વ્યવસ્થા ગોઠવાય છે. પરંતુ આ ઉપરાંત મહત્વની બાબત એવી છેકે પરિક્રમામાં આવનાર યાત્રિકોને જમવાની તથા આરામ માટે સગવળતા મળે, તો આ કામ ઘણા વર્ષોથી સામાજીક સંસ્થાઓ કરી રહી છે. આમ પણ સૌરાષ્ટ્રની પ્રજા ભોજન કરાવવામાં અને ભજન કરવામાં આગળ છે. જેનાં દાખલા ગણ્યા ગણાય તેમ નથી.
(૧) શ્રી ખોડીયાર રાસ મંડળ-રાજકોટ:- આમ સમગ્ર પરિક્રમામાં સેવા અને અન્નક્ષેત્ર ચલાવવામાં મોખરાનું સ્થાન ધરાવતું રાજકોટ શહેરનું શ્રી ખોડીયાર રાસ મંડળ. આ સંસ્થા ઈ.સ.૧૯૬૧ થી સતત દર વર્ષે ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રિકોને બન્ને ટાઈમ ભોજન અને ભજન પીરસીને તૂપ્ત કરી રહી છે. રાજકોટનાં ગ્રીન મરચન્ટ વેપારી મિત્રો દ્વારા સ્વ. લાભુભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલ આ અન્નક્ષેત્રને આગળ ચલાવવામાં આવે છે. અને અત્યારે તો એક વટવ્રૂક્ષ બની ગયેલ છે. આ સેવા અત્યારે જીણાબાવાની મઢીએ પુરી પાડવામાં આવે છે.
આમ શ્રી ખોડીયાર રાસ મંડળ તરફથી રોજ યાત્રિકોને ચોખ્ખા ઘીની ગુંદી, ગાંઠીયા, લીલા શાકભાજી તથા કઠોળનું શાક, સંભારો, ખીચડી અને કઢી વગેરે પીરસવામાં આવે છે. આ ઉપરાંત ચા,દુધ અને પાણીની પ્રસાદી અવિરત ચાલુ હોય છે. તેમજ રાત્રે નાંમાંકીત કલાકારો દ્વારા ભજન અને ભવાઈ અને નાટકમંડળી દ્વારા લોકોનો થાક ઉતારવામાં આવે છે. આ ઉપરાંત કોઇ અકસ્માત સર્જાય તો પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી એમ્બ્યુલન્સ તથા દવાઓ રાખવામાં આવે છે. આમ માનવતાનાં પ્રવાહને જીવંત રાખવા માટે તેઓ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
(૨) વડાલ અન્નક્ષેત્ર:- ઈ.સ.૧૯૫૯ થી ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રિકોને સગવળતા મળી રહે તે હેતુથી વડાલ ગ્રામજનો દ્વારા આ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ હતું જે આજે પણ સતત ચાલુ જ છે. ભુખ્યાને અન્ન, તરસ્યાને જળ અને જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો એ વાતને સાર્થક કરતા વડાલ ગ્રામજનો આ અન્નક્ષેત્ર સુરજકુંડથી માળવેલાની વચ્ચે શુકનાળા પાસે ચલાવવામાં આવે છે. જયાં યાત્રિકોને આરામ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ ચા-પાણીની પ્રસાદી આપવામાં આવે છે.
(૩) મીરા દાતાર અન્નક્ષેત્ર:- આમ તો મીરા દાતારની જગ્યા એ અત્યારનાં સમયમાં કોમી એકતાનું ઉતમ ઉદાહરણ છે. કારણકે આ જગ્યામાં જમિયલશા પીરની દરગાહ આવેલી છે. જેનાં બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુ દ્વારા આશરે ઈ.સ.૧૯૫૨ની સાલથી શરૂ કરવામાં આવેલા આ અન્નક્ષેત્રને હાલ તેમના શિષ્ય અને હાલનાં મહંત ચલાવે છે. જે સુરજકુંડની જગ્યાએ ચાલે છે. આ જગ્યાએ જમવાની તથા ચા-પાણીની સારી વ્યવસ્થા કરવામાં આવે છે. આમ ગિરનારની પરિક્રમાએ આવતા દરેક ધર્મનાં યાત્રિકો તેનો લાભ લે છે. અને ભાઈચારાની ભાવના કેળવે છે.
આ ઉપરાંત અન્ય ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ ધાર્મિક કાર્યમાં પોતાનાથી થઈ શકે તેવુ યથાશક્તિ કાર્ય કરે છે. તેમજ બીજી ઘણી પ્રવૂતિ જૂનાગઢ નગરપાલીકા દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેવીકે અશકત વૂધ્ધ યાત્રિકોને ટેકા માટે લાકડીનુ વિતરણ કરવું, અલગ અલગ જગ્યાએ પાણીનાં ટેન્કર ગોઠવવા તથા આગ ઓલાવવાનાં સ્ત્રોત, એમ્બ્યલન્સ તથા દવાખાનાને લગતી સુવિધાઓ પુરી પાડે છે.

પરિક્રમામાં યાત્રિકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત

  • યાત્રિકો જરૂર પુરતો સામાન સાથે રાખે તથા જરૂર મુજબ સુકો નાસ્તો, વોટરબેગ, નાનુ ચપ્પુ, પેપર, સાલ, સાબુ, ટુથબ્રશ, હાથપગ મોજા અને હાથબતી જેવી ચીજવસ્તુ સાથે રાખવી.
  • યાત્રા દરમિયાન પ્રાથમિક સારવાર માટે દવા તથા ગ્લુકોઝના પાઉચ સાથે રાખવા.
  • ૩૬ કી.મી.ની આ યાત્રા પગપાળા હોવાથી પરસેવો, ડંખ કે ફોડલા પડે છે. તે માટે મોજાઓ વારંવાર બદલવા અને કેનવાસનાં બુટ પહેરવા વધુ હિતાવહ છે.
  • સામાન માટે કાપડનો થેલો રાખવો તેમજ સુતરાઉ કપડા પહેરવા અને યાત્રિક દીઠ ૫ કિલો વજન સાથે રાખવો જેથી વધુ થાક ન લાગે.
  • યાત્રા સ્થળે સામાજીક સંસ્થા દ્વારા શુધ્ધ અને આરોગ્યવર્ધક ભોજન અપાતુ હોવાથી બહારનો વાસી નાસ્તો ન ખાવો જેથી તબિયત ન બગડે આમ છતા જો તબિયત બગડે તો તરતજ ડોકટરી સેવા આપતી સંસ્થાનો સંપર્ક કરી તપાસ કરાવવી.
  • ચારે તરફ જંગલ હોવાથી રસોઈ બનાવતી વખતે આગ ન લાગે તેની કાળજી રાખવી. તેમજ પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોને નુકશાન ન કરવું અને વન્ય પ્રાણીઓને છંછેડવા નહી.
  • યાત્રા દરમિયાન કિંમતી સામાન સાથે રાખવો નહી, લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી ગીરદી થતી હોવાથી ખિસ્સાકાતરૂથી સાવધાન રહેવું. કોઇ આકસ્મિક ઘટના બને તો નજીકનાં અધિકારીને જાણ કરવી. વગેરે...

ભવનાથનો મેળો

મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાની ખીણમાંથી પસાર થાય છે. એણે જે કંઈ સહન કર્યુ, જીરવ્યું, જોયું એની વેદના અથવા આનંદ વ્યકત કરતો રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જેવાકે રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો ભરાય છે, ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો ભરાય છે. જયારે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.

પુરાણો ઇતિહાસ

ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.
(૧) ભવનાથ મહાદેવ :- આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.
જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.
(૨) મૃગીકુંડ :- ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતિ કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.
ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.

મહત્વ અને વર્ણન

ભવનાથનો મેળો ગિરનારનાં પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દરવર્ષે મહા વદ નોમ થી મહા વદ ચૌદશ એટલેકે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો સ્વંયમભુ છે તેમજ આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. આ મેળાનો પ્રારંભ નોમને દિવસે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડાવીને કરવામાં આવે છે. તે સમયે દેશ-વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો-મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જૂનાગઢનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એક બાજુએ સાધુ-સંતોના ઉતારા તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવ્રૂતિ કરતી સામાજીક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે.
આ મેળામાં અત્યારે તો સમયનાં પરિવર્તનની સાથે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભ મેળો યોજાય ત્યારે તેમાં સાધુ-સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણકે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમનાં દિવસથી જ સાધુ-સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે.
ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફકત સાધુઓને રહેવા માટે, તેમના ધુણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઈનમાં ગોઠવવામાં આવે છે, કારણકે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જયારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામા રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પુરી પાડે છે. જેવીકે ચા-પાણી, દુધ, ધુણા માટેનાં લાકડા વગેરે... જયારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યાર બાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધુણા ધખાવે છે.

નાગાબાવાનું સરધસ

ભારત વર્ષનાં ઇતિહાસમાં રથયાત્રા, શોભાયાત્રા, ઝુલુસ, સરઘસ જેવા અનેક જગ્યાએ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાતા હોય છે. જેવી રીતે અષાઢ સુદ બીજને દિવસે એટલેકે અષાઢી બીજને દિવસે ઓરિસ્સાનાં પુરી, ગુજરાતનાં અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે, તેમજ ભાદરવા સુદ ચોથના દીવસે એટલેકે ગણેશ ચતુર્થી નાં દિવસે મહારાષ્ટ્રનાં મુંબઈશહેરમાં તેમજ દેશનાં અન્ય શહેરોમાં પણ ભગવાન ગણેશની રથયાત્રાનીકળે છે. મહોરમ માસમાં તાજીયાનું ઝુલુસ નીકળે છે. આવીજ રીતે ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.
આ સરઘસ શિવરાત્રિની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસનાં ભવનાથનાં મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે.
આ સરઘસ જે જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભુખ્યા તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને તથા જયાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. આ દિવસે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય જાય છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવાઓ પોતાની ઈન્દ્રીય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખૂબજ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીથી સ્નાન કર્યાબાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા કરે છે.
શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જૂનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે.

રાવટી અને ઉતારા

જેમ સૌરાષ્ટ્રનાં સાધુ-સંતોની આગવી છાપ રહી છે કે જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો, સંત કબીર કહે કમાલકુ દો બાતે સીખલે, કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે. તેને સાર્થક કરતી સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓ, સામાજીક સંસ્થાઓ અને તેને સહકાર આપતા દાતાશ્રીઓ પોતાનો કાફલો લઈને ભવનાથનાં શિવરાત્રિના આ મેળામાં લગભગ પાંચમથી જ આવી જાય છે. જે સંસ્થાઓ આ મેળામાં સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોકકસ જગ્યા નક્કી હોય છે તે લોકો દર વર્ષે ત્યાંજ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો બોલે છે. આ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ તથા ગામની જગ્યા તથા ઉતારા આવેલા હોય છે. આમ આ રાવટી તથા ઉતારા દ્વારા લોકોને જમવાનુ તથા રહેવાની સગવળ કરવામાં આવે છે.
ઘણાં વર્ષોથી યોજાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવે છે. આ મેળામાં જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, પરબનો ઉતારો, ભુરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડીયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો, તેમજ અલગ અલગ જ્ઞાતિની જગ્યાઓ દ્વારા સવાર, બપોર અને સાંજે નાં ત્રણેય ટાઈમનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ રાત્રે સુવામાટેની વ્યવસ્થા કરવામા આવે છે. આ ઉપરાંત જયાં ભોજન હોય ત્યાં ભજન કેમ ભુલાય. જેમાં ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, પરબનો ઉતારો, ભારતી આશ્રમ જેવા સ્થળોએ ભોજનની સાથે રાત્રે ભજન એટલેકે સૌરાષ્ટ્રનાં નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી રાખવામાં આવે છે. જે જે રાવટી તથા ઉતારાનાં પડાવ હોય છે તેને જરૂરી તમામ વસ્તુઓ પોતાની રીતે સાથે લાવે છે. તેમજ જે જગ્યાઓ તે વાપરતા હોઈએ તેનુ ભાડુ પણ તેજ ચુકવે છે. આમ ભવનાથનાં આ મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને લોકેને ભોજન અને અલખને આરાધવા માટેનું જે માધ્યમ ભજન છે તેની વ્યવસ્થા આ સંસ્થાઓ જ કરે છે.
આ સિવાય આ મેળામાં ખાવા-પીવાનાં સ્ટોલ તેમજ ભક્તિની સાથે મનોરંજન મળે તે હેતુથી થોડા સમયથી અલગ અલગ જારનાં ફજર, ચકરડીઓ તેમજ રોશની ગોઠવવામાં આવે છે. આ આયોજન જૂનાગઢ શહેરની નગરપાલિકા તરફથી તથા પોલીસ ડિવીઝન દ્વારા ગોઠવાય છે. આમ તો જ્યારે મેળો ચાલુ થાય ત્યારથી જ બહારથી પધારેલા સાધુ-સંતો અને મહંતોને પાસ ફાળવવામાં આવે છે જેથી તેની ગાડીઓ રોકવામાં આવતી નથી બાકીનાં તમામ વાહનોને અમુક હદ સુધી જ જવા દેવાય છે. જેથી વધારે ગિરદી ન થાય અને વ્યવસ્થા જળવાય રહે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકોને આવવા તથા જવા માટે વધારાની ટ્રેન અને બસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે. આમ આ મેળાનો લાભ લેવો તે જીદંગીનો એક લાહવો ગણાય છે. અને સામુહિક સાધુ-સંતોના દર્શનનો લાભ પણ મળે છે.

મંદિરો

નેમીનાથજીનાં દેરાસર

નેમીનાથજી ભગવાન - ગિરનાર (જૂનાગઢ)
ગિરનારની મહતા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મોટી આંકવામાં આવી છે. જૈન ધર્મના જે પાંચ યાત્રાધામ આવેલા છે તેમાનું એક યાત્રાધામ એટલે ગિરનારન્પર્વત પરનાં નેમીનાથજીનાં દેરાસર. ગિરનાર સાથે નેમીનાથજી અને રાજમતીનું નામ જોડાઈ ગયુ છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનારા પશુઓનાં ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમીનાથનું હદય હચમચી ઊઠયું. જેથી રાજપુત કુંવરે ત્યાગની દિશા લીધી, રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભુમિ બન્યો. નેમીનાથજી અને રાજમતીની અપૂર્વ ત્યાગભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યો છે. આ જૈન દેરાસરનું જમીનથી લગભગ શિખર ૩૩૦૦ ફુટ ઉંચે છે.
ગિરનાર ઉપર દેવકોટ દરવાજામાંથી અંદર જતા જૈન દેરાસરો દ્રષ્ટિગોચર થાય છે. ગિરનારનાં તિર્થનાયક નેમીનાથજી છે. એટલે વિશાળ મુખ્ય દહેંરૂ તેમનું છે. મંદિર ફરતો બહારનો રંગ મંડપ, ચોક અને નિજમંદિર કલાના મનોહરી નમુના છે. તેમાં નેમીનાથજીની શ્યામ મુર્તિ બિરાજમાન છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સમય જતાં દેરાસરનો જીર્ણોધાર વિક્રમ સંવત ૧૨૮૫ માં થયેલ છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભદેવની આસનસ્થ વિશાળ પ્રતિમા છે. જૈનો તેને અદબદજી દાદા તરીકે ઓળખે છે. નેમીનાથજીના આ દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં રા'માંડલિકએ આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગાંગના પુત્ર હરિપાલને મંદિરોના લેખો કોતરવાનો હક વંશપરંપરાએ આપ્યાનો ઉલ્લેખ છે. નેમીનાથજીના મંદિરની પાછળ જગમાલ ગોરધનનું દહેરૂં છે. જગમાલ જૈન મંદિરોના મુનીમ હતાં. તેમના નામ ઉપરથી જૂનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે.
આ સિવાય સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા'ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદિર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકો પ્રવાસીઓને આકર્ષે છે. ગિરનાર પર સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ કારીગરીવાળા દેરાસરો તો વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા છે. ઈ.સ.૧૨૩૨ થી ૧૨૪૨ વચ્ચે બંધાયેલા પાર્શ્ર્વનાથજીના આ દેરાસરો સ્થાપત્યકલાના ઉતમ નમુના છે. મંદિરમાં સાતેક અભિલેખો છે. જૈન શ્ર્વેતાંબર મુર્તિપુજક સંધના વહીવટ નીચે ગિરનારના દેરાસરો આવે છે. દિગંબરી સંધના પણ કેટલાક દેરાસરો છે. આમ શ્રી નેમીનાથજીના દેરાસરો ગિરનાર પર્વત પર ખૂબજ જુનાં વખતથી આવેલા છે.

સહ્સાવાન્ નમીનાથજીનાં દેરાસર

ભગવાન્ નેમીનાથજી ની કલ્યાણક ભૂમી,અર્વાચીન્ મંદિર

અંબાજીનું મંદિર[ફેરફાર કરો]

ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધાજ શિખરો ઉપર ચડી શકતા નથી પરંતુ જમીનથી લગભગ ૩૩૦૦ ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં ૧૩મી સદીમાં બંધાયેલ કુંડ છે. તેની પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટુક થઈને નેમીનાથજીનાં દેરાસર આવે છે. દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે. જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દુર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે, બરોબર તેની સામે જ ભૈરવજપનો પથ્થર આવેલો છે ત્યાંની એક પ્રચલિત માન્યતા છેકે આ પથ્થર પરથી પડતુ મુકીને આપઘાત કરવાથી રાજપદ મળે છે. પણ અત્યારનાં સમયમાં આવુ બનતુ નથી. ભૈરવજપ પાસે ઈ.સ.૧૮૨૪ માં ગિરનારમાં આવીને વસેલા યોગી સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો મારગ છે.
આમ ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મુળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. આમ 'જય ગિરનારી' નાં નામનો નાદ જેના નામે ગાજે છે તે અંબાજીનું ભવ્ય મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોકોમાં એક પ્રકારની શ્રધ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ છે.

ગોરખનાથનો ધુણો

ગોરખનાથની ટુક
આમ અંબાજીમાતાજીનાં દર્શન કર્યા બાદ ગુજરાત રાજયનાં સૌથી ઉંચા સ્થળમાં જેમની ગણના થાય છે. તે ગિરનાર પર્વતની સૌથી ઉંચી ટુંક એટલે કે ગોરખટુંક. જે ૩૬૦૦ ફુટની ઉંચાઈ વાળુ ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથ માનાં ગોરખનાથજીનો ધુણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોચતાની સાથે જ કોઈ પણ માણસનાં ઉરમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પુર્વબાજુ ઓઘડનાથની ટુંક આવેલી છે.
અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા, દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદિર આવેલુ છે જેમા દત્તાત્રેયનો ધુણો છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ જમાડે છે. બાજુમાંજ નંદીશ્ર્વર મહાદેવનુ મંદિર આવેલુ છે. થોડે દુર અનસુયાની ટુંક આવેલી છે. આમ આગળ જતા રસ્તો ખૂબજ થકાવનારો હોય છે. તેમજ અહીનું દ્રશ્ય ખૂબજ સુંદર દેખાય છે કારણકે વાતાવરણમાં ઘુમ્મ્સનું પ્રમાણ જોવા મળે છે. અને એવુ લાગે છેકે આપણે વાદળની વચ્ચે જ ઉભા હોય. આમ ગિરનારની ઉંચામાં ઉંચી ટુંક ગોરખનાથ ટુંકથી આગળ વધાય છે.

દતાત્રેયનો ધુણો

દતાત્રેય ટુક(આગળ),કાલકા ટુક(પાછળ)
ગોરખનાથ ટુંકથી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબજ કઠીન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોચી શકે તેવી આખરી દત્તાત્રેયટુંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. આ સ્થળે એક ઘંટ પણ આવેલ છે. જે ત્રણ વખત વગાડવાની માન્યતા છે.
આ શિખરથી આગળ 'કાલકા ટુંક' આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પુર્વ બાજુની આ ટુંક ઉપર કાલિકામાતાનાં બેસણા છે. જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ દત્તાત્રેય ટુંકથી સંપુર્ણ વિહંગ દ્રશ્ય થાય છે. દુર તળેટી માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેથી થાક ખાતા ખાતા નીચે ઉતરાણ થાય છે. જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તો જોતા જવાય છે.

મીરા દાતાર

ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પ્રુથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટની ઉંચાઈએ મીરા દાતારની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આશન છે. કહેવાય છે કે જમિયલશા ઈરાનથી સિંધ થઈને ઈ.સ.૧૪૭૦ માં અહીં આવીને વસ્યા હતા. આ દાતારની જગ્યાની પાછળ ભવનાથનો ધુણો આવેલો છે. મીરા દાતારની જગ્યાએ હિંદુ, મુસલમાન અને દરેક કોમનાં માણસો દર્શનાર્થે આવે છે. જેથી કોમી એકતાનું પ્રતિક સમુ આ સ્થળ આવેલું છે. જયાં આજથી ૫૦ વર્ષ પહેલા ત્યાંના મહંત પટેલ બાપુએ શરૂ કરેલ અન્નક્ષેત્ર હજુ પણ ચાલુ છે. જયાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રસાદ આપવામાં આવે છે. તેમજ આ જગ્યા તરફથી ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થા હાલનાં મહંત શ્રી તરફથી કરવામાં આવે છે. એક ભજનમાં પણ દાતારનો મહીમા ગાવામાં આવ્યો છે કે ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર.

અન્ય સ્થળો

અશોકનો શિલાલેખ

અશોકનો શિલાલેખ જૂનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઇતિહાસના અમુલ્ય વારસા સમા અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે. ગિરનારની યાત્રાએ જતા યાત્રિકોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

દામોદર કુંડ

દામોદર કુંડ-જૂનાગઢ
જૂનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખૂબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદિર આવેલું છે.
આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-૫ ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનાં અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનનાં અસ્થી પધરાવવા હરદ્વારમાં ગંગાનદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થી પધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિશ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાય નાં આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન(સહજાનંદ સ્વામી/શ્રીજી મહારાજ) કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી., વીરપુરનાં સંતશ્રી જલારામ બાપા, સતાધારનાં સંતશ્રી આપાગીગા તેમજ શ્રી વેલનાથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલેકે આ તીર્થમાં ૯ નાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, ૫૨ વીર અને ૬૮ તીરથ નો વાસ રહેલો છે. જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે.

ગિરનાર વિશેનું સાહિત્ય

`ગિરનાર' પુસ્તક

`ગિરનાર' પુસ્તકમાં (લેખક: સંજય ચૌધરી) પવિત્ર તેમ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા પર્વત ગિરનારની પરિક્રમા વિશેનું વિશિષ્ટ પ્રવાસવર્ણન કરવામાં આવેલું છે. પુસ્તકમાં ઐતિહાસિક, ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ ધરાવતા લેખોનો સંગ્રહ છે. ગિરનાર આરોહણ દરમ્યાન માર્ગમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોનું અનોખી રીતે અવલોકન કરીને લેખકે વિસ્તૃત માહિતી પૂરી પાડી છે. સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો ધરાવતા મહાન પર્વત ગિરનારનાં વિવિધ સ્થળો વિશે ઝીણવટથી માહિતી પૂરી પાડવામાં આવેલી છે. ગિરનાર અને ગીર જંગલની વિપુલ વન્ય સંપત્તિ - છોડ, ઝાડ અને વેલાઓ અંગે એક આખું પ્રકરણ છે. ગીર જંગલમાં વન્ય જીવોના સંવર્ધન વિશે થયેલા પ્રયત્નો, તેમાં મળેલી સફળતા, સિંહ, દીપડા અને અન્ય વન્ય જીવો અંગેના આંકડા આપવામાં આવ્યા છે. ગિરનારને કેન્દ્રમાં રાખીને ગુજરાતી સાહિત્યમાં લખવામાં આવેલી વિવિધ પ્રકારની સાહિત્યિક, ધાર્મિક અને લોકસાહિત્યની કૃતિઓ વિશે સંદર્ભ સહિત વિસ્તારથી છણાવટ કરવામાં આવેલી છે. પુરાણા કાળથી અસ્તિત્વ ધરાવતું નગર `ગિરિનગર', જેનું અત્યારે નામ જૂનાગઢ છે, તેના વિવિધ શાસકો - મૌર્ય, ગુપ્ત, શક, રાજપુત, મુસ્લિમ, મુગલ, બાબી યુગની વિગતવાર સચોટ માહિતી આપવામાં આવેલી છે. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં અનેરું મહત્ત્વ ધરાવતા અને નવાબના દીવાન ભુટ્ટો દ્વારા જૂનાગઢનાં પાકિસ્તાન સાથે કરવામાં આવેલા અયોગ્ય જોડાણમાંથી તેને મુક્ત કરવા માટે રચાયેલી આરઝી હકૂમતની લડત અંગેની માહિતી એક પ્રકરણમાં જણાવવામાં આવેલી છે. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત તથા આઝાદી પૂર્વે જૂનાગઢમાં પ્રર્વતતી હિન્દુ-મુસ્લિમ સહજ એકતાનું નિરુપણ કરતી ગુજરાતી નવલકથા `હુ હુ'નું વિવેચન પુસ્તકના અંતિમ પ્રકરણમાં કરવામાં આવેલું છે.

બાહ્ય કડીઓ

અક્ષાંશ-રેખાંશ: 21°30′N 70°30′E